Skip to main content

કમોસમી વરસાદ : પ્રકૃતિ નું હનન કરી માનવ પોતે જ પોતાના લાઈફ ઈન્સ્યોરન્સની વેલીડીટી એક્સપાયર કરી રહ્યો છે.



કુદરત જ્યારે સળંગ ચાલે ત્યારે જ જીવન સળંગ ચાલે. કુદરતને અવગણીને વિકાસ જેવો દેખાતો માર્ગ, હકીકતમાં વિનાશનું શોર્ટકટ સાબિત થઈ રહ્યો છે અને આ શોર્ટકટ લેવામાં હું ને તમે બધા આવી ગયા ... ખરેખર વિચારવા જેવું છે 🙏🏻


માવઠું હોય કે કમોસમી વરસાદ, વાતાવરણનું તાપમાન પલટી જાય કે હવા-પાણી ગંદા થઈ જાય… આ બધું કોઈ જાદુથી નથી થતું એ તો આપણાં જ હાથથી કરાયેલા કામોનું સીધું-સીધું રીટર્ન છે 😶‍🌫️ અને જ્યારે ભૂલ નો આભાસ થાય ત્યારે સ્વીકારી ને હજી પાછું વળવું એ મૂર્ખામી નથી ... વાલિયો લૂંટારો જો વાલ્મીકી થઈ શકે તો હજી માનવ માત્ર સુધરે એટલે આ પ્રકૃતિ ફરી ખિલખિલાટ કરી શકે. 


આપણે શહેર વધાર્યા, રોડ-બ્રિજ બનાવ્યા, ઉદ્યોગો ઉભા કર્યા પરંતુ કુદરતના મૂળભૂત સિદ્ધાંતો અને નિયમોને અવગણ્યા. ઝાડ કાપવા, ભુમિનો અનિયંત્રિત ઉપયોગ, પાણીના સ્રોતોનો દુરુપયોગ, વાહનોથી ફાટી નીકળતો ધુમાડો, પ્લાસ્ટિકના પહાડ, આ બધા કારણે પૃથ્વીનું સ્વાસ્થ્ય ખરાબ થઈ ચૂક્યું છે. 


પ્રદૂષણ વધ્યું એટલે વાતાવરણની ગતિ પણ ભટકાઈ ગઈ. એનું પરિણામ છે આ કમોસમી વરસાદ 🌧️


અને આ વરસાદનું નુકસાન કોને?

કોઈ મંત્રીઓની બારીઓમાં તો પાણી ભરાતું નથી. સમસ્યા તો સામાન્ય જન અને ખેડૂતોને જ ચિંગમ ની જેમ ચોંટે છે. 


નીપજ ને પાક બરબાદ થાય,

ખેડૂતના સ્વપ્નો પણ ભીની માટીમાં રગદોળાય,

સરકાર સહાય જાહેર કરે એટલે સરકારી તિજોરીને નુકશાન, 

ફેક્ટરીઓના કામધંધામાં આંટાઘૂંટી ને વિલંબ,

રસ્તા ડૂબે પાણીમાં ને, 

શાળા-કોલેજમાં અકારણ રજા રાખવાને લીધે બાળકોના અભ્યાસમાં ખાડો, 

હોસ્પિટલોમાં દર્દીઓ વધે,

મચ્છરજનક બીમારીઓનો પ્રકોપ અને આવું ઘણું બધું ... આમ સમગ્ર સમાજની ગતિ ધીમી પડી જાય.


પ્રકૃતિ કોઈ દુશ્મન નથી

એ તો આપણી માતા છે 🌱

માત્ર એક સિદ્ધાંત યાદ રાખવો

જ્યાં કુદરતનો સહકાર

ત્યાં જીવનનો ઉછેર

જ્યાં કુદરતને ઇજા

ત્યાં જીવનમાં સંકટ


મારી સમજણમાં દિવાળી 🪔 પછી વરસાદ નો બનાવ આ પહેલો છે અને એ ગ્લોબલ વોર્મિંગ નો જ પ્રભાવ છે. 


પ્રકૃતિ હજી માવઠા રૂપે પ્રહાર કરીને આપણને વિનંતી કરે છે કે, 

“મને બચાવો, તો હું તમને બચાવીશ”


સવાલ એટલો જ છે કે 

આપણે ક્યારે સમજીશું ? ? ? 


માટે હવે જાગવાની વેળા છે.

ઝાડ લગાવીએ. પ્રદૂષણ ઘટાડીએ. પ્લાસ્ટિકનો ત્યાગ કરીએ. પાણી બચાવીએ.


પ્રકૃતિને સહકાર આપીએ એ આપણાં જીવનનો સૌથી મોટો લાઇફ ઇન્સ્યોરન્સ છે 🌍


✍️ ઉત્તમ ત્રાસડીયા ૨૭.૧૦.૨૦૨૫

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...