Skip to main content

મોરબીનો સિરામિક ઉદ્યોગ જે આજે ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યો છે...

 


મોરબીનું સિરામિક ઉદ્યોગ — જે એક સમય દેશ અને દુનિયાના બજારમાં રાજ કરતું હતું — આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યાં એક સમય ઉદ્યોગકારો વચ્ચેના સહકાર અને સહિયારા પ્રયત્નો આ ઉદ્યોગને વિશ્વના નકશા પર લાવ્યા હતા, ત્યાં આજે ઉદ્યોગકારો વચ્ચેની ફૂટ, પ્રાઈઝ વોર અને વ્યક્તિગત લાભ માટેની દોડે આ ઉદ્યોગને તોડી નાંખ્યો છે. કોઈ સરકાર કે નીતિ કરતા વધુ નુકસાન ઉદ્યોગકારોએ પોતે એકબીજા સામે ઊભા રહીને કર્યું છે. અને આ જ એક અસલી પરિબળ છે જે આજે સિરામિક ઉદ્યોગના પતન પાછળ છુપાયેલું છે — ઉદ્યોગકારો વચ્ચે એકતાનોઅભાવ


મોરબીની માટીમાંથી જન્મેલો આ ઉદ્યોગ, નાના શેડથી શરૂ થઈ આજે લાખો કરોડો રૂપિયાના રોકાણ સુધી પહોચ્યો છે. હજારો નાના મોટા ઉદ્યોગો, લાખો મજૂરો અને હજારો પરિવારોનું ભવિષ્ય આ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉદ્યોગનો મૂળ સ્વરૂપ અને એના મૂલ્યો ધીમે ધીમે ખસી ગયા છે. એકતાનો ધરો તૂટી ગયો છે. અને જયાં એકતા તૂટી જાય ત્યાં ઉદ્યોગ કેટલો પણ મોટો હોય, તૂટવાનો સમય માત્ર સમયનો પ્રશ્ન રહે છે.


એક સમય એવો હતો જયાં કોઈ એક ઉદ્યોગમાં કોઈ નવી ટેક્નોલોજી આવતી કે કોઈ નવી પ્રોડક્ટ માર્કેટમાં ઉતરતી ત્યારે આસપાસના બધા ઉદ્યોગકારો એકબીજાથી વાત કરતા, ટેક્નિકલ ચર્ચા કરતા અને મળીને માર્કેટની સ્ટ્રેટેજી બનાવતા. આંતરિક સ્પર્ધા નહીં પરંતુ  સહયોગથી ઉદ્યોગ આગળ વધે — એ વિચાર હતો. પણ આજે સ્થિતિ બિલકુલ ઉલટી થઈ ગઈ છે. આજનો ઉદ્યોગકાર પોતાના બાજુ વાળા ઉદ્યોગને પછાડવા, એના ગ્રાહકો છીનવી લેવા અને બજારમાં સસ્તું વેચીને ટૂંકા ગાળાનો લાભ લેવા દોડી રહ્યો છે. પરિણામે જે ઉદ્યોગ પોતે બનાવી રહ્યો છે એનો જ બજાર પોતે તોડી રહ્યો છે.


આજની સૌથી મોટી સમસ્યા “પ્રાઈઝ વોર” છે. ૨૮ રૂપિયામાં ચાલતી ટાઈલ ૨૭ માં વેચવામાં આવી, ૨૭ નું માર્કેટ તોડવા કોઈએ ૨૬ માં મૂકી અને એમ કરતા કરતા આજે તળિયાના ૧૮ રૂપિયા સુધી ભાવે આવી પહોંચી છે. કોઈ ગ્રાહકને ભાવ નીચે લાવવા માટે હવે સમજાવવાની પણ જરૂર નથી — કારણ કે ઉદ્યોગપતિઓ પોતે એકબીજાની નીચે જઈને રેટ આપી દે છે. આ રેસમાં કોઈ જીતતું નથી, માત્ર ઉદ્યોગ હારતો જાય છે. નાના પ્રોડક્શન વાળા ઉદ્યોગકારો માટે તો આ ભાવો પર ટકી રહેવું શક્ય જ નથી. તેમની કોસ્ટિંગ ઊંચી આવે છે — ગેસ, વીજળી, મજૂરી, ટ્રાન્સપોર્ટ, રો મટિરિયલ — બધું મોંઘું છે. જ્યારે માર્કેટમાં ભાવ નીચે જઈ રહ્યા છે ત્યારે તેમના માટે એક જ રસ્તો બચી રહે છે — ફેક્ટરી બંધ કરવાનો. અને એ જ થતું પણ જઈ રહ્યું છે. રોજ નવા નવા નાના યુનિટ્સ બંધ થવાના સમાચાર આવી રહ્યા છે.


ઘણા લોકો માને છે કે મોટા ઉદ્યોગકારો આ વોરમાં ટકી જશે — પણ આ ભ્રમ છે. આજે નાના લોકો પડી રહ્યા છે, કાલે મોટા પણ પડશે. કારણ કે જ્યારે ભાવો અસ્થિર હોય, માર્કેટ અંધાધૂંધ ભાવ પર ચાલતું હોય, કોઈ પણ નીતિ કે યોજના વગરનું વેચાણ ચાલતું હોય ત્યારે કોઈ ઉદ્યોગ લાંબા ગાળે ટકી શકતો નથી. મોટા ઉદ્યોગકારો પાસે પણ ફિક્સ્ડ કોસ્ટ છે — લોનના ઈન્ટરેસ્ટ, મેન્ટેનન્સ, વહીવટ, ડીપો, સ્ટાફ, અને અન્ય હજારો ખર્ચો. જ્યારે માર્કેટ તેમની પ્રોડક્શન કોસ્ટ કરતા નીચેના ભાવ પર ચાલશે ત્યારે તેઓને પણ ટકી રહેવું અશક્ય બની જશે. એટલે આજે નાના ઉદ્યોગકારોનું પતન માત્ર શરૂઆત છે — આ આગ ધીમે ધીમે બધા ને સ્પર્શશે.


આ આખી સ્થિતિમાં સૌથી મોટું દુઃખદ પરિબળ એ છે કે — આ બધું કોઈ બાહ્ય શત્રુ કરી રહ્યું નથી. આ ઉદ્યોગને કોઈ સરકારી નીતિ, કોઈ વિદેશી કંપની કે કોઈ અન્ય એજન્સી તોડી રહી નથી. ઉદ્યોગકારો પોતે એકબીજાના શત્રુ બની ગયા છે. સહકારની જગ્યાએ સ્પર્ધા, ભાઈચારા ની જગ્યાએ ઈર્ષા, અને સંયુક્ત વિચારની જગ્યાએ વ્યક્તિગત લાભની દોડ ચાલી રહી છે. જયાં કોઈ ઉદ્યોગના સભ્યો વચ્ચે આ પ્રકારની માનસિકતા પેદા થાય છે, ત્યાં એ ઉદ્યોગને તોડવા માટે બહારથી કોઈ શત્રુની જરૂર જ નથી રહેતી.


એકતાનો અભાવ માત્ર ભાવમાં નહીં, પણ સમગ્ર ઉદ્યોગના માળખામાં સ્પષ્ટ દેખાય છે. ઉદ્યોગની કોમન નીતિ નથી, કોમન માર્કેટિંગ સ્ટ્રેટેજી નથી, કોઈ સંયુક્ત દર નક્કી નથી, કોઈ ઉદ્યોગ સંઘની શક્તિશાળી ભૂમિકા નથી. દરેક ઉદ્યોગકાર પોતપોતાના રસ્તે ભાગી રહ્યો છે. કોઈ લક્ષ્ય નથી, કોઈ માર્ગ નથી — માત્ર જીવતા રહેવાનો સંઘર્ષ છે. અને જયાં દિશા વિનાનો સંઘર્ષ ચાલે છે ત્યાં વિજય ક્યારેય મળતો નથી.


એકતાના અભાવના આર્થિક પરિણામો પણ ગંભીર છે. ઉદ્યોગમાં અસ્થિરતા આવી ગઈ છે. રોજ ભાવ બદલાય છે, ગ્રાહકોનો વિશ્વાસ તૂટે છે, એક્સપોર્ટર્સ માટે માર્કેટ અસ્થિર બને છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને ભાવ જોઈએ છે — પણ અહીં તો રોજ નવા રેટ અને નવી અશાંતિ છે. ઘણા ગ્રાહકો હવે અન્ય દેશોના સપ્લાયર્સ તરફ વળી રહ્યા છે. અને આ રીતે ધીમે ધીમે મોરબીનું ગ્લોબલ માર્કેટ શેર ઘટી રહ્યું છે. એક સમય હતો જયાં વિશ્વમાં મોરબીની ટાઈલ્સની ચર્ચા થતી, આજે એ જ મોરબીની ઓળખ “સસ્તી ટાઈલ્સ” સુધી સીમિત થતી જાય છે. આ ગૌરવ માટે લડવા કોઈ એકતા નથી.


એકતાનો અભાવ ઉદ્યોગના ટેક્નિકલ વિકાસને પણ અસર કરે છે. જયાં સહકાર હોય ત્યાં નવા ઈનોવેશન જન્મે છે — ઉદ્યોગકારો એકબીજાની ભૂલોમાંથી શીખે છે, નવી ટેક્નોલોજી શેર કરે છે અને ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પણ જયાં એકતા ન હોય ત્યાં દરેક પોતાના બોક્સમાં જ બંધ રહી જાય છે. નવી ટેક્નોલોજી લાવવાની હિંમત ઘટી જાય છે કારણ કે કોઈને ડર હોય છે કે બાજુ વાળો સસ્તામાં એ જ માલ બજારમાં મૂકી દેશે અને મારી ઈન્વેસ્ટમેન્ટ ડૂબી જશે. પરિણામે આખો ઉદ્યોગ ટેક્નિકલ રીતે સ્થગિત થઈ જાય છે.


આ ઉદ્યોગ માટે સૌથી જરૂરી છે — સહકાર અને સંયુક્ત દૃષ્ટિકોણ. ઉદ્યોગકારોએ સમજવું પડશે કે કોઈ એકલા ટકી નહીં શકે. બજારમાં સ્થિર ભાવ, કન્સિસ્ટન્ટ ક્વોલિટી અને મજબૂત માર્કેટ ઈમેજ બનાવવા માટે બધા ને સાથે આવીને નીતિ બનાવવી પડશે. કોઈને રેટ નીચે આપવાથી મળેલો ટૂંકો લાભ આખા ઉદ્યોગને વર્ષો સુધી નુકસાન પહોંચાડી શકે છે. એકતાથી જ ઉદ્યોગને ફરીથી ઉંચાઈ પર લઈ જવાય છે.


આજે જો ઉદ્યોગકારો વચ્ચે એકતા ન આવે તો આવનારા દિવસોમાં આ ઉદ્યોગ માટે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની છે. હજારો ફેક્ટરીઓ બંધ થશે, લાખો મજૂરો બેરોજગાર થશે, નિકાસ ઘટશે, બેન્ક લોન બેડ લોન બનશે, અને આખો ઉદ્યોગ તૂટી જશે. આ માત્ર આર્થિક સંકટ નહીં પણ સામાજિક સંકટ બની જશે. મોરબીની આર્થિક નસોમાં સિરામિક ઉદ્યોગનું લોહી વહે છે — જો એ નસ જ સુકાઈ ગઈ તો આખો પ્રદેશ બેકાર થઈ જશે.


આ સ્થિતિમાંથી બહાર આવવાનો એકમાત્ર રસ્તો છે — ઉદ્યોગકારો વચ્ચે મજબૂત એકતા. ભાવ નક્કી કરવા માટે સંયુક્ત મંચ બનાવવો પડશે, માર્કેટ માટે કોમન નીતિ અપનાવવી પડશે, સ્પર્ધા ક્વોલિટી અને ઈનોવેશનમાં કરવી પડશે, ભાવમાં નહીં. ઉદ્યોગના હિત માટે વ્યક્તિગત લાભને થોડોક સમય માટે પાછળ મૂકવો પડશે. આ ઉદ્યોગ આપણા બધાનો છે — જો આજે તેને બચાવવાની લડત નહીં લડીએ તો કાલે કદાચ કંઈ બચશે જ નહીં.


સિરામિક ઉદ્યોગનો પતન સરકાર નહીં અટકાવી શકે, કોઈ નીતિ નહીં અટકાવી શકે — માત્ર ઉદ્યોગકારોની એકતા જ આ ઉદ્યોગને પુનર્જીવિત કરી શકે છે. આજે જો આપણે એકતા નહીં બતાવીએ તો ઈતિહાસ લખાશે કે “મોરબીનો ઉદ્યોગ ઉદ્યોગકારોના વ્યક્તિગત સ્વાર્થને કારણે સામૂહિક રીતે મૃતઃપાય થઈ ગયો.” અને જો એકતા બતાવીએ તો ઈતિહાસ લખાશે કે “મોરબીનો ઉદ્યોગ ઉદ્યોગકારોની એકતાથી ફરી ઉભો થયો.”

પસંદગી આપણા હાથમાં છે.


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૬.૧૦.૨૦૨૫

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...