Skip to main content

“વેપારથી શાસન સુધી: અંગ્રેજોની કૂટનીતિ અને ભારતની આંતરિક કમજોરીઓનો ઈતિહાસ”


ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના કોઈ એક ઘટનાનું પરિણામ નહોતું, પરંતુ અનેક રાજકીય, આર્થિક અને સૈનિક પરિબળો સાથે સંકળાયેલી પ્રક્રિયા હતી. શરૂઆતમાં અંગ્રેજો માત્ર વેપાર માટે આવ્યા હતા, પરંતુ ભારતીય પરિસ્થિતિ, આંતરિક કમજોરીઓ અને પોતાની વ્યૂહાત્મક બુદ્ધિથી તેઓ ધીમે ધીમે શાસક બની ગયા.


ઈ.સ. ૧૬૦૦માં સ્થાપિત થયેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીનો મૂળ હેતુ મસાલા, કાપડ અને અન્ય મૂલ્યવાન વસ્તુઓનો વેપાર કરીને નફો કમાવવાનો હતો. શરૂઆતમાં તેઓ ભારતીય શાસકો પાસેથી પરવાનગી લઈને ફેક્ટરીઓ સ્થાપતા અને સ્થાનિક સત્તાને માન્યતા આપતા હતા પરંતુ મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારત રાજકીય રીતે વિખંડિત બન્યું. નાના રાજ્યો વચ્ચે સ્પર્ધા, અવિશ્વાસ અને આંતરિક વિવાદો વધ્યા, જેના કારણે રાષ્ટ્રીય એકતાનો અભાવ રહ્યો.


ભારતના રાજાઓ વચ્ચે એકતા ન હોવાના મૂળ કારણોમાં કેન્દ્રીય સત્તાનો અભાવ, પ્રાદેશિક સ્વાર્થ, વારસાગત વિવાદો અને પરસ્પર અવિશ્વાસનો સમાવેશ થાય છે. ઘણા રાજાઓ પોતાના વિરોધીઓને હરાવવા વિદેશી શક્તિઓની મદદ લેતા, જે અંતે તેમના માટે જ ઘાતક સાબિત થઈ. આ પરિસ્થિતિઓએ અંગ્રેજોને ભારતીય રાજકારણમાં પ્રવેશવાનો મોકો આપ્યો.


કર્ણાટકના ત્રણેય યુદ્ધો (૧૭૪૬–૧૭૬૩) અંગ્રેજો (ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની) અને ફ્રેન્ચ (ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની) વચ્ચેના પ્રભાવ માટેના સંઘર્ષ હતા. આ યુદ્ધોમાં અંગ્રેજોએ હૈદરાબાદ અને કર્નાટકના સિંહાસન મુદ્દે હસ્તક્ષેપ કરીને પોતાના પક્ષના શાસકોને સત્તામાં બેસાડ્યા. આથી તેમને સમજાયું કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા ભારતીય રાજકારણમાં સરળતાથી પ્રભાવ પેદા કરી શકાય છે.


ઈ.સ. ૧૭૫૭નું પ્લાસીનું યુદ્ધ અંગ્રેજોની આ વિચારધારાને વેગ આપવામાં અતિ મહત્ત્વપૂર્ણ સાબિત થયું. તે સમયના અંગ્રેજ ગર્વર્નર રોબર્ટ ક્લાઇવે મીર જાફરને નવાબ બનાવાની લાલચ આપી અને અન્ય લાભોની ખાતરી આપી. જગત સેઠ જેવા ધનિકો અને અમીચંદ જેવા મધ્યસ્થીઓને પણ આર્થિક લાલચ આપીને સિરાજઉદ્દૌલાની સેનામાં આંતરિક ભંગાણ ઊભું કરાયું. પરિણામે મીર જાફરે પોતાના જ રાજા સિરાજ ઉદ્દ દૌલાને દગો આપ્યો અને અંગ્રેજોને પ્લાસીના યુદ્ધમાં સરળ વિજય મળ્યો. આ જીતથી અંગ્રેજો સમજી ગયા હતા કે ભ્રષ્ટાચાર અને કાવતરું સૈન્યશક્તિ જેટલું જ અસરકારક છે. આ પછી અંગ્રેજોએ મીર જાફરને નવાબ બનાવ્યો, પરંતુ હકીકતમાં સત્તા પોતાના હાથમાં રાખી. જ્યારે તે તેમની માંગણીઓ પૂર્ણ ન કરી શક્યો, ત્યારે મીર કાસિમને લાવીને ફરીથી સત્તા પરિવર્તન થયું. આ રીતે કિંગ મેકરની ભૂમિકા માં રહીને અંગ્રેજોએ પોતાના સ્વાર્થનો માર્ગ મોકળો કર્યો. 


ઈ.સ. ૧૭૬૪નું બક્સરનું યુદ્ધ અને ત્યારબાદ ઈ.સ. ૧૭૬૫ની અલ્હાબાદ સંધિએ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની આપી. દીવાની સતાથી સીધી આવક અને વાસ્તવિક સત્તા અંગ્રેજોના હાથમાં હતી છતાં પણ લોકોની નજરમાં શાસક તો નવાબ જ રહ્યા. આ દ્વિપક્ષી શાસન હેઠળ પ્રજાની સમસ્યાઓનો સામનો નવાબોને કરવો પડતો, લોકોની સમસ્યાનું સમાધાન કરવાની જવાબદારી નવાબની હતી, લોકોની નારાજગી અને પીડા માટે જવાબદાર નવાબ હતા જ્યારે અંગ્રેજો નાણાકીય બાબતો ઉપર તેમનું પ્રભુત્વ રાખી અને નવાબો અને તેમના મંત્રીમંડળની નિમણૂકમાં પાછલા બારણે મજબૂત પકડ રાખી  પરોક્ષ રીતે ફાયદો લેતા રહ્યા આ તેમની કૂટનીતિનું ઉત્તમ ઉદાહરણ છે.


તે સમયના રાજાઓ અંગ્રેજોના તાબે થયા તેની પાછળ રાજકીય વિખંડન, ભ્રષ્ટાચાર, રજવાડાઓની સૈન્ય નબળાઈ અને આર્થિક નિર્ભરતા મુખ્ય કારણો હતા. અંગ્રેજોની આધુનિક સેનાશક્તિ અને વ્યૂહરચના સામે ભારતીય શાસકો ટક્કર આપી શકયા નહીં સાથે જ પૈસા (લાંચ) અને સત્તાની લાલચને કારણે આંતરિક દગાખોરીનું પ્રમાણ વધ્યું જેનું દબાણ સીધું રાજ્ય વ્યવસ્થા ઉપર આવતા રાજાઓ નબળા પડતા ગયા. 


પ્લાસી, બક્સર, કર્ણાટક જેવા યુદ્ધો માં મળેલી સફળતા પછી અંગ્રેજોની વિચારધારામાં પણ પરિવર્તન આવ્યું. શરૂઆતમાં વેપાર માટે આવેલા અંગ્રેજોએ સમજ્યું કે શાસન દ્વારા વધુ નફો અને નિયંત્રણ મેળવી શકાય છે. યુરોપમાં ચાલી રહેલી વસાહતવાદી ચળવળ (અંગ્રેજો માત્ર ભારતમાં જ નહીં વિશ્વના ઘણા વિસ્તારોમાં આ રીતે પ્રભુત્વ મેળવવા માટે કામ કરી રહ્યા હતા) અને ભારતમાં મળેલી સરળ જીતોએ તેમને વેપાર ની સાથે સાથે શાસન કરવાની દિશામાં પ્રોત્સાહિત કર્યા.


આ સમગ્ર ઇતિહાસ વર્તમાન સમયમાં મહત્વપૂર્ણ પાઠ આપે છે. કોઈપણ દેશની મજબૂતી માટે રાષ્ટ્રીય એકતા અને મજબૂત સંસ્થાઓ અત્યંત આવશ્યક છે કારણ કે આંતરિક વિખંડન બહારની શક્તિઓને આમંત્રણ આપે છે. ભ્રષ્ટાચાર અને સ્વાર્થ દેશને અંદરથી ખોખલો બનાવે છે, તેથી પારદર્શિતા અને નૈતિકતા જરૂરી છે. આર્થિક સ્વાવલંબન વગર રાજકીય સ્વતંત્રતા અધૂરી રહે છે અને સજાગ નાગરિકતા લોકશાહીનો સૌથી મોટો આધાર છે.


ખાલી હાથે નફો મેળવવા આવેલા અંગ્રેજોએ અંગ્રેજોએ સૈન્ય શક્તિ, વ્યૂહાત્મક કાવતરા, લાલચ અને ભ્રષ્ટાચાર જેવી સોફ્ટ કોર્નર નીતિઓ અને આર્થિક નિયંત્રણ દ્વારા ભારત પર શાસન સ્થાપિત કર્યું, પરંતુ તેની પાછળનું મૂળ કારણ ભારતની આંતરિક કમજોરી હતી. 


✍️ ઉત્તમ ત્રાસડીયા ૧૮.૦૩.૨૦૨૬ 

Popular posts from this blog

રિવ્યુ - "લાલો" શ્રી કૃષ્ણ સદા સહાયતે!

  ગુજરાતી ફિલ્મ  “ લાલો ”  માત્ર એક સિનેમા નથી પરંતુ ઘરઘરમાં બનતી સત્ય ઘટનાનો અરીસો છે,અને સાથે સાથે ભગવાન કૃષ્ણ દરેક સંકટમાં કોઈ ને કોઈ રૂપે હાજર રહે છે, એવો શાંત સંદેશ પણ આપી જાય છે. આખા ફિલ્મનું કેન્દ્ર છે લાલજી — રીક્ષા ચલાવી પરિવારનો ગુજરાન ચલાવતો, દિલથી સારો, પરંતુ કરજ અને પરિસ્થિતિઓના ભારથી કંટાળી ગયેલો સામાન્ય માણસ. ઘરે તુલસી જેવી સ્નેહભરી પત્ની, અને ખુશી નામની ફૂલ જેવી દીકરી. પરંતુ એક દિવસ કિસ્મત એવી દિશામાં વળી જાય છે કે ખુશીનું એક્સિડન્ટ થાય છે અને આખું ઘર હચમચી જાય છે. દવાખાનાના બિલ, ઈલાજ, દવાઓ… અને તે બધું પૂરું કરવા માટે લીધેલું કરજ. કરજનું ભારણ વધતા લાલજીનું મન તૂટી પડે છે. મિત્રોના રવાડે દારૂનો હાથ પકડે છે, અંતે સમજણ    વધુ ગુમાવે    છે અને જીવન ખોટા રસ્તે જવા માંડે છે. આ તોફાન વચ્ચે તુલસી એકલી ઊભી છે ખુશીની સંભાળ, ઘરનો ભાર અને લાલજીની ચિંતા બધું એકસાથે. તેણીના પિતા ગામના સરપંચ છે, પણ તુલસીએ ભાગીને લગ્ન કર્યા હતા તેના ઘરના ઘા આજે પણ ઠીક નહોતા થયા. આખી ઘટના એ જ સમયે અદભૂત વળાંક લે છે, જ્યાં માણસની શક્તિ    પૂરી    થાય...

રિવ્યૂ - ધુરંધર ; “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું”

  “ઘાયલ હું, ઇસ લિયે ઘાતક હું” વાહ !!!!  એક એવો ડાયલોગ જે આખી ફિલ્મનો સારાંશ છે . ફિલ્મ જોતા જ દિલની અંદર ઊંડે સુધી અસર કરે એવો આ ડાયલોગ છે. નાગરિકોની વિશ્વસનીયતા અને જીવની સુરક્ષા જાળવવા માટે કંધાર હાઈજેકના આતંકવાદીઓને છોડવા પડ્યા એ ભારતની મજબૂરી હતી પરંતુ ત્યારબાદ ઘરમાં ઘૂસીને બદલો લેવાની ભારતની હિંમત અને ક્ષમતા એ સરકારની મજબૂત ઇચ્છાશક્તિ અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ છે. ફિલ્મ જોતા જ ભારતીય સુરક્ષા એજન્સીના વફાદાર એજન્ટ્સ માટે માન આપોઆપ બે ગણું થઈ જશે. વિદેશી ધરતી પર અસહ્ય પરિસ્થિતિઓ વચ્ચે ભારતીય જાસૂસો કેવી રીતે પોતાની પકડ મજબૂત રાખે છે અને દેશની સુરક્ષા માટે સતત સંઘર્ષ કરે છે તે દ્રશ્યો અત્યંત અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. પોતાની આંખો સામે પોતાની જ ટીમના સાથી પર શારીરિક અત્યાચાર થતો હોવા છતાં પથ્થર દિલ બની, મક્કમ મનોબળ અને બદલો લેવાની ક્ષમતા જાળવી રાખવી "આ કોઈ કાયરનું કામ નથી." પ્રથમ નજરે આ દ્રશ્યો માનવતા મરી પરવારી હોય એવો આભાસ કરાવશે પરંતુ પરિસ્થિતિ અને કારણનું ઊંડું અવલોકન કરશો તો સમજાશે કે દુશ્મનનો મિત્ર બનીને દુશ્મનને જ ખતમ કરવાની રણનીતિ સામાન્ય વિચારશક્તિ કે ક...

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!

💥 પ્રાઈઝ વોર: મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ઘાતક માર્ગ!  ============================ મોરબી — એક નાનું શહેર, પરંતુ એક વિશાળ ઉદ્યોગનું ધબકતું હૃદય છે. અહીંનું સિરામિક ઉદ્યોગ એશિયાના સૌથી મોટા ઉદ્યોગોમાંનું એક ગણાય છે. કરોડો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન અને લાખો લોકોના રોજગાર સાથે મોરબીનું નામ માત્ર ગુજરાતમાં જ નહીં, પણ દુનિયાના અનેક ખૂણાઓમાં ગુંજતું આવ્યું છે. પરંતુ આજે આ ગૌરવમય ઉદ્યોગ એક એવા વળાંક પર ઊભો છે જ્યાં તેની સમૃદ્ધિ કરતાં એની નબળાઈ વધુ સ્પષ્ટ દેખાઈ રહી છે. ઉદ્યોગના મૂળમાં ઘૂસી ગયેલું સૌથી મોટું અને ઘાતક પરિબળ છે “પ્રાઈઝ વોર” આ લડાઈ કોઈ ટ્રેડર કે ગ્રાહક સાથે નથી, આ લડાઈ ઉદ્યોગકારો પોતે એકબીજાને સામે ઊભા થઈને લડી રહ્યા છે અને એ જ આ ઉદ્યોગના ધીમે ધીમે થતા પતનનું સૌથી મોટું કારણ છે. આજથી માત્ર બે-ત્રણ વર્ષ પહેલાં ૨x૪ સ્ક્વેર ફૂટ (૬૦૦x૧૨૦૦ mm) સાઇઝની ટાઇલ્સ રૂ. ૨૮ થી ૩૫ સુધીના ભાવે વેચાતી હતી. એ જ સાઇઝની ટાઇલ્સ આજે ફક્ત રૂ. ૧૮ ના તળિયાના ભાવે વેચાઈ રહી છે. જે ટાઇલ્સ ક્યારેક ગુણવત્તાની સ્પર્ધાથી વેચાતી હતી, એ હવે ભાવની લડાઈમાં મૃતઃપાય થઈ રહી  છે. ગુણવત્તા ગૌણ બની ગઈ છે અને સૌથ...